
નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના જાના ફળિયામાં આવેલી આંગણવાડીની દીવાલ અને ગેટ તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે અંદાજે 11:00 વાગ્યે થયેલા કાર અકસ્માતમાં તૂટી ગયા હતા. અકસ્માત દરમિયાન કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા આંગણવાડીની બહારની દીવાલ તથા પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

આ બનાવ પછી આંગણવાડીની વર્કર બહેને સમગ્ર મામલે તલાટી કમ મંત્રીને લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરંતુ વર્કર બહેનનું કહેવું છે કે તલાટી કમ મંત્રીએ તેમની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને અરજી સુપરવાઈઝરને આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગામના યોગેશભાઈ એસ. પટેલ અને ચંદુભાઈ એન. પટેલ હાજર હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડીની મિલકત પંચાયતની મિલકત ગણાતી નથી, તેથી તેની મરામત અંગે પંચાયત જવાબદાર નથી. આ નિવેદન બાદ ગામલોકોમાં પ્રશ્નો ઊભા થયા છે કે હવે આંગણવાડીની તૂટી ગયેલી દીવાલ અને ગેટનું રીપેર કોણ કરશે.

આંગણવાડી મુખ્ય રસ્તાની બાજુમાં આવેલી હોવાથી અહીં અભ્યાસ માટે આવતા નાના બાળકો માટે હાલ જોખમ જનક સ્થિતિ ઊભી થઈ છે. દીવાલ અને ગેટ તૂટેલા હોવાથી બાળકો રસ્તા તરફ દોડી જાય તો અકસ્માત સર્જાવાની ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે.

ગામ લોકોએ તંત્રને તાત્કાલિક ધ્યાન આપી આંગણવાડીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નુકસાનની મરામત કરાવવા માંગ કરી છે.