
નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢા ગામે આવેલી શ્રીકૃષ્ણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અરવિંદભાઈ એ. પટેલે ગેરકાયદેસર રીતે ચાલતા ઈટના ભઠ્ઠા અંગે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ કરી છે.
શ્રીકૃષ્ણ ગૌશાળા સર્વે નંબર 685 ખાતે આવેલી છે, જ્યાં આશરે 20 જેટલી ગાયોનું સંવર્ધન થાય છે. ગૌશાળાની બાજુમાં, માત્ર 20 ફૂટના અંતરે સર્વે નંબર 1862 પર ઈટના ભઠ્ઠાનું ગેરકાયદેસર કામકાજ ચાલી રહ્યું છે. ભઠ્ઠામાંથી નીકળતી કોલસી અને તાપથી ગાયોને નુકસાન પહોંચે છે તથા ઘાસચાર પણ પ્રદૂષિત થતું હોવાનું અરવિંદભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે.
ફરિયાદ મુજબ, આ જમીન સીલીંગ એક્ટ હેઠળ સરકારશ્રી દ્વારા ગરીબો માટે ખેતી માટે ફાળવવામાં આવેલ હોવાથી તે ભાડે આપી શકાય તેવી નથી. તેમ છતાં જમીનના ધારકોએ ઈટ ભઠ્ઠા માટે ભાડાપટ્ટે આપી ગેરકાયદેસર રીતે ઉદ્યોગ શરૂ કર્યો છે.
ફરિયાદ કર્તાએ જણાવ્યું કે, અગાઉ તારીખ 28/04/2025 ના રોજ પણ કલેક્ટરશ્રીને અરજી કરાઈ હતી, પરંતુ યોગ્ય નિકાલ ન મળતાં ફરીથી 17/11/2025 ના રોજ ઈટ ભઠ્ઠી કાયમી રીતે બંધ કરવા માટે લેખિત માંગણી કરવામાં આવી છે. અરવિંદભાઈ પટેલે કલેક્ટરશ્રીને IORA પોર્ટલ પર ચાલી રહેલી મંજૂરી પ્રક્રિયા રોકી યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.