
કપરાડા તાલુકાના વિભાજન બાદ રચાયેલા નવા નાનાપોંઢા તાલુકામાં તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીનું કાર્યકાજ 2 ઓક્ટોબર 2025 થી શરૂ થવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. નાનાપોંઢા ખાતે કચેરીઓ માટે યોગ્ય સ્થળની પસંદગી માટે પ્રાંત અધિકારી, મામલતદાર તથા ટી.ડી.ઓ.એ છેલ્લા બે દિવસથી સ્થળ નિરીક્ષણ કર્યું છે.
પ્રારંભિક તબક્કામાં મામલતદાર કચેરી માટે નાનાપોંઢા ડેપો પાસેની સિલધા સહકારી મંડળીનું મકાન તથા તાલુકા પંચાયત માટે નાનાપોંઢા ગ્રામ પંચાયત હોલ પસંદગીમાં આવ્યાં છે. જોકે, વધુ સુવિધા યુક્ત મકાન મળ્યું તો સ્થળમાં ફેરફાર થવાની સંભાવના છે. કચેરીના મકાન માટે પાર્કિંગ, પીવાના પાણી અને બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
નવા નાનાપોંઢા તાલુકામાં કુલ 49 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી શરૂ થવાથી સ્થાનિકોને સરકારી સેવાઓ સરળતાથી મળશે અને વહીવટી કાર્યક્ષમતા પણ વધશે.
આ નિર્ણયથી નાનાપોંઢા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને મોટી રાહત મળશે.