વલસાડ જિલ્લાના ધરમપુરમાં આજે પાર-તાપી રીવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં વિશાળ જન આક્રોશ મહારેલી યોજાઈ રહી છે. આ રેલીનું નેતૃત્વ વાંસદાના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ કરી રહ્યા છે. પ્રોજેક્ટથી આદિવાસી સમુદાયને નુકસાન થવાની આશંકા વચ્ચે આજે હજારોની સંખ્યામાં લોકો ઊમટ્યા છે.
રેલી દરમિયાન “ગલી ગલી મેં શોર હે, ભાજપ સરકાર ચોર હે” જેવા ઉગ્ર નારા લગાવવામાં આવ્યા, જે પ્રોજેક્ટ અને સરકાર સામે જનતામાં વ્યાપેલા રોષને સ્પષ્ટ દર્શાવે છે. રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિત, કપરાડા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ તેમજ અન્ય અનેક બિન રાજકીય સંગઠનના હોદ્દેદારો હાજર રહેવાની શક્યતાઓ છે.
વિશાળ ભીડને ધ્યાને રાખી ધરમપુર અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રીવરલિંક પ્રોજેક્ટ તેમના જીવન, જમીન અને પર્યાવરણ માટે ખતરો છે અને સરકાર માત્ર કોર્પોરેટ હિત માટે આ દિશામાં આગળ વધી રહી છે.
લોકમુખે ચર્ચા છે કે આ પ્રોજેક્ટને કેન્દ્રમાં રાખી રાજકીય રમત રમાઈ રહી છે. આદિવાસી સમુદાય માટે આ રેલી એક માત્ર વિરોધ નહિ, પણ તેમના હકોની રક્ષા માટેનું સામૂહિક જનઆંદોલન છે.
આજની રેલી ધરમપુરના ઈતિહાસમાં આદિવાસી અધિકાર અને પર્યાવરણ રક્ષાના સંઘર્ષનું નોંધપાત્ર પળ બની રહી છે.