
કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે સ્થિત સ્વામી નારાયણ સ્કૂલ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિત્તે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સ્વામી નારાયણ જ્ઞાનપીઠ સલવાવ વાપી તથા દાનવીર દાતાશ્રીઓના સહયોગથી 211 જેટલા ગામોમાં વિઘ્નહર્તા ભગવાન ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું. આ અનોખા કાર્યક્રમમાં ધાર્મિક ઉત્સાહ સાથે સામાજિક એકતાનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

આ પ્રસંગે કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, કપરાડા ભાજપ પ્રમુખ વિપુલ ભોયા, પૂજ્ય કેશવદાસ સ્વામીજી, પૂજ્ય કપિલ સ્વામીજી સહિત અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું કે આવા આયોજનોથી ગ્રામ્ય સમાજમાં સાંસ્કૃતિક પરંપરાનો વિકાસ થતો રહે છે અને નવી પેઢી ભક્તિ ભાવ તરફ પ્રેરાય છે.

પૂજ્ય સ્વામીજીઓએ પણ આશીર્વચન આપતાં જણાવ્યું કે ગણેશ ચતુર્થીનો તહેવાર વિઘ્નો દૂર કરી એકતા, શ્રદ્ધા અને સદભાવના વધારવાનો સંદેશ આપે છે. ગામે ગામે મૂર્તિ વિતરણથી ગ્રામજનોમાં ભારે આનંદ છવાયો હતો. ભક્તિ, સેવા અને દાન ભાવ સાથે યોજાયેલા આ મહોત્સવમાં સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.