
વલસાડ-ડાંગના સાંસદ તથા લોકસભા દંડક શ્રી ધવલભાઈ પટેલની અસરકારક રજૂઆતને પગલે ધરમપુર સ્ટેટ હોસ્પિટલના ૧૦ આરોગ્ય કર્મીઓને ફરી નોકરીએ પરત લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૨એ આર.ટી.પી.સી.આર. વિભાગમાં આ કર્મીઓની નિમણૂક કરવામાં આવી હતી. લોકડાઉન અને વૈશ્વિક સંકટની ઘડીએ તેમણે પોતાના જીવનના જોખમે સેવા આપી લોકોના આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમ છતાં ૧૯ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ અચાનક મૌખિક રીતે તેમને સેવા પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ કારણે કર્મીઓ તથા તેમના કુટુંબોને આર્થિક ભીંસનો સામનો કરવો પડ્યો હતો.

સાંસદ શ્રી ધવલભાઈ પટેલે તા. ૨૨ ઑગસ્ટે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને લેખિત પત્ર પાઠવી કર્મચારીઓને પરત નોકરીએ લેવાની માંગ કરી હતી. ધરમપુર તાલુકો આદિવાસી વિસ્તાર છે તથા હોસ્પિટલમાં દર મહિને આશરે ૪૦,૦૦૦થી વધુ લેબ ટેસ્ટ થાય છે, જેના કારણે સ્ટાફની અતિશય જરૂરિયાત છે તે મુદ્દો તેમણે સ્પષ્ટ કર્યો હતો.

સરકાર દ્વારા રજૂઆતને અનુરૂપ નિર્ણય લેવાતા તમામ ૧૦ આરોગ્ય કર્મીઓને ફરી સેવા માં સામેલ કરાયા છે. આ નિર્ણયથી આરોગ્ય કર્મીઓએ સાંસદશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.