
પારડી તાલુકાના અરનાલા ગામે આવેલ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 1 સપ્ટેમ્બર, સોમવારના રોજ 72મી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી (કિસાન મુકિત દિન)નું ભવ્ય આયોજન થવાનું છે. ખેડૂતોના હિત અને હક્કોને કેન્દ્રમાં રાખી યોજાનાર આ રેલીમાં મોટા પાયે ખેડૂતો જોડાશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા ધારાસભ્ય અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, સહ પ્રભારી ઉષા નાયડુ, ધારાસભ્ય અનંત પટેલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, મહામંત્રી મિલન દેસાઈ તથા એસ.ટી. સેલના પ્રમુખ રાજેન્દ્ર પરઘી ખેડૂતોને સંબોધિત કરશે.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વિના મૂલ્યે લક્કી ડ્રો યોજાશે, જેના માધ્યમથી ખેતી માટે જરૂરી આધુનિક સાધનોનું વિતરણ કરવામાં આવશે.
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના નિમંત્રણ હેઠળ યોજાનારી આ કિસાન રેલીમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના તેમજ ખેડૂતોના હિતમાં નીતિગત માંગણીઓ ઉઠાવવાના પ્રયાસો થશે.