
કપરાડા તાલુકાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 અને 848 પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો માટે મુસાફરી જીવલેણ બની ગઈ છે. અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને કેટલાંક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી તથા સ્થાનિક વહીવટી તંત્ર તરફથી કોઈ ગંભીર કાર્યવાહી હાથ ધરાઈ નથી. આ મુદ્દે આમ આદમી પાર્ટી કપરાડા તાલુકાના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલની આગેવાની હેઠળ પાર્ટી આગેવાનો તથા આદિવાસી સમાજના અગ્રણીઓએ આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કર્યું હતું. આવેદનપત્રમાં હાઇવેના ખાડાઓ તાત્કાલિક ભરવા તથા મુસાફરોને સુરક્ષા આપવા માટે જરૂરી પગલાં લેવા સરકારને અપીલ કરવામાં આવી હતી.
સાથે જ ચેતવણી આપવામાં આવી કે જો આગામી દિવસોમાં તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો પ્રતિકાત્મક વિરોધ સ્વરૂપે હાઇવેના ખાડાઓમાં વૃક્ષારોપણ જેવા સર્જનાત્મક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના તાલુકા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સાથે ધીરુ ઠાકરે, લતેશ પટેલ, આદિવાસી આગેવાનો દેવરામભાઈ, આનંદભાઈ, દિનેશભાઈ, નાગજીભાઈ, જયંતીભાઈ તથા વિષ્ણુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.