
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી શહેરના મુકતિધામ ખાતે દમણગંગા નદીના પટ પર ગણેશ વિસર્જન ઉત્સાહ અને શ્રદ્ધાભાવે પૂર્ણ થયું. જોકે આ વખતે વિસર્જન માત્ર ધાર્મિક પરંપરા પૂરતું સીમિત ન રહી, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ સાથે જોડાયો.

લાઈફ રેસ્ક્યૂ ફાઉન્ડેશન તથા વાપી એનિમલ રેસ્ક્યૂ ટીમે, દક્ષિણ વન વિભાગ–વલસાડના સહયોગથી, વિસર્જન દરમિયાન ભક્તોને ફળ, ફૂલ તથા ઔષધીના કુલ ૧,૧૦૦ છોડ નિઃશુલ્ક ભેટ આપ્યા. દોઢ દિવસ, ત્રણ દિવસ તથા પાંચમા દિવસે થયેલા વિસર્જન પ્રસંગે અનેક પરિવારો અને યુવાનોએ હર્ષભેર આ છોડ સ્વીકારીને પ્રકૃતિ સંરક્ષણનો સંકલ્પ કર્યો.

પર્યાવરણલક્ષી આ પહેલને ધાર્મિક તથા સામાજિક વર્તુળોમાં પ્રશંસા મળી રહી છે. ભક્તો હવે વિસર્જનની યાદ સાથે હરિયાળી વધારવાનો નિશ્ચય લેતા જોવા મળી રહ્યા છે. આ પ્રયાસથી સમાજમાં પર્યાવરણ જાગૃતિનો સકારાત્મક સંદેશ પ્રસર્યો છે.

વાપીમાં યોજાયેલા આ ગણપતિ વિસર્જન કાર્યક્રમથી ભક્તિ અને પર્યાવરણપ્રેમનું સુંદર સંકલન જોવા મળ્યું, જે ભવિષ્ય માટે પ્રેરણાદાયી સાબિત થશે.