
પારડી તાલુકાના ડહેલી ગામના પટેલ ફળિયામાં રહેતા વિરલભાઈ ભરતભાઈ પટેલ વહેલી સવારે આશરે છ વાગ્યાના સમયે પરિજનોને કોઈ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. લાંબા સમય સુધી પરત ન ફરતા ચિંતિત પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા. શોધખોળ દરમિયાન લખમાપોર ચીચાઈ ગામ નજીક પાર નદી પર આવેલ પુલ પાસે વિરલભાઈની મોટરસાયકલ અને ચંપલ મળી આવ્યા હતા. આથી કોઈ અનિષ્ટ ઘટના બની હોવાની શંકા વધુ મજબૂત બનતા તરવૈયાઓને બોલાવી નદીમાં તપાસ હાથ ધરાઈ હતી.

તરવૈયાઓએ પાણીમાં તપાસ શરૂ કરતાં વિરલભાઈનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અચાનક યુવાનના અવસાનથી પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો હતો. ઘટના સ્થળેથી મૃતદેહને કબજે લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે યુવાને નદીમાં ઝંપલાવવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. વિરલભાઈના નિધનથી ડહેલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું છવાઈ ગયું છે.