
કપરાડા તાલુકાનું મુખ્ય મથક નાનાપોંઢા ચાર રસ્તા સર્કલ હાલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે, નેશનલ હાઈવે નંબર 56 અને 848 ઉપર ચારે તરફ ખાડાઓ સર્જાતા વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, માર્ગ પર ખાડા એટલા વધ્યા છે કે વાહન ચાલકોને કયા રસ્તે વાહન પસાર કરવું તે સમજાતું નથી, જેના કારણે અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે…

સ્થાનિક લોકો તથા વાહન ચાલકોનું કહેવું છે કે થોડા દિવસ પહેલાં આ ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે રસ્તાની હાલત ફરી જૈસે થે થઈ ગઈ છે, ખાડાઓના કારણે નાના મોટા અકસ્માતોની ભીતિ ઊભી થઈ છે અને વાહન ચાલકો રોજ ત્રાહિમામ પોકારી રહ્યા છે…

વાહન ચાલકો તેમજ રાહદારીઓએ સ્થાનિક વહીવટી તંત્ર તથા નેશનલ હાઈવે ઓથોરિટીને વહેલી તકે સુવ્યવસ્થિત રીતે ખાડાઓનું સમારકામ કરવાની માંગ કરી છે, લોકોનું કહેવું છે કે અડધુ અધૂરું કામ નહીં પરંતુ ટકાઉ સમારકામ જરૂરી છે જેથી વરસાદી મોસમમાં ફરીથી આ જ હાલત સર્જાય નહીં…