
નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે દિવસીય સાંસદોની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં દેશભરના ભાજપ સાંસદોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ તથા લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે પણ સક્રિય સહભાગિતા દર્શાવી હતી.

કાર્યશાળામાં કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નીમુબેન બામણીયા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપ સારંગી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે સંસદીય કાર્યપદ્ધતિ, સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને આવનારા લોકસભા સત્રના કાર્યક્રમોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાંસદ ધવલભાઈ પટેલે આ કાર્યશાળાને લોક કલ્યાણ માટે ઉપયોગી અનુભવો પ્રાપ્ત કરવાનો સારો અવસર ગણાવ્યો હતો.