
કપરાડા તાલુકાના અંભેટી ખાતે આતંકવાદી હુમલા સમયે સુરક્ષા અને રેસ્ક્યુ માટે મોકડ્રીલ યોજાઈ. સાંજે પાંચ વાગ્યે યોજાયેલ આ અભ્યાસ દરમિયાન ચાર આતંકવાદીઓએ અંભેટી પાવરગ્રીડ પર હુમલો કરીને ત્રણ અધિકારીઓને બંધક બનાવી લીધા હતા. ઘટનાની જાણ થતા વલસાડ પોલીસે તાત્કાલિક ચેતક કમાન્ડોની ટીમને ઘટના સ્થળે મોકલી હતી.

કમાન્ડોની ટીમે પરિસ્થિતિનો ઝડપી અહેવાલ મેળવી સુરક્ષિત રીતે ઓપરેશન શરૂ કર્યું. લગભગ એક કલાક સુધી ચાલેલા આ અભ્યાસક્રમ દરમિયાન કમાન્ડોએ કુશળતા અને તત્પરતા દર્શાવી ત્રણેય અધિકારીઓને સફળતા પૂર્વક મુક્ત કરાવ્યા. આ મોકડ્રીલનો હેતુ આતંકવાદી હુમલાની સંભાવિત પરિસ્થિતિમાં સુરક્ષા તંત્ર કેટલું સતર્ક અને સક્ષમ છે તેનો અહેવાલ મેળવવાનો હતો.

મોકડ્રીલ દરમિયાન સ્થાનિક પોલીસ, રેસ્ક્યુ ટીમ અને ચેતક કમાન્ડોની સંયુક્ત કામગીરી જોવા મળી. અધિકારીઓએ જણાવ્યું કે આવા અભ્યાસો નિયમિત રીતે થવાથી તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રતિસાદ આપવાની ક્ષમતા વધુ મજબૂત બને છે. આ સફળ મોકડ્રીલ દ્વારા વલસાડ પોલીસ અને કમાન્ડોની કાર્યક્ષમતા સાબિત થઈ છે.