
વલસાડ જિલ્લાના કપરાડાથી વિભાજિત નવરચિત નાનાપોંઢા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે થયું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાનાં વન, પર્યાવરણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તથા જિલ્લા પ્રભારી શ્રી મુકેશભાઈ પટેલ અને વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

નાનાપોંઢા તાલુકામાં ૪૯ ગામોનો સમાવેશ થયો છે અને તાલુકાનું મુખ્ય મથક નાનાપોંઢા રહેશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં ખેતીવાડીનો જેવો વિકાસ થયો છે, તેવો અન્યત્ર થયો નથી. ગુજરાતમાં નવા જિલ્લા-તાલુકા રચાઈ તુરંત જ કાર્યાલયો કાર્યરત કરવાના પ્રયત્નો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યા છે. વધુમાં તેમણે જીએસટી સુધારાઓથી રોજગારી અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળતું હોવાનું જણાવ્યું.

સાંસદ ધવલભાઈ પટેલે નાનાપોંઢા તાલુકાની રચનાથી સ્થાનિક લોકોને સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું. રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે લોકોને કપરાડા જવાની જરૂર નહીં રહે તેવી વાત કરી. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા.

લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, તાલુકા વિકાસ અધિકારી આનંદ પટેલ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, કપરાડા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, કપરાડા એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.