
નાનાપોંઢા તાલુકાના બાલચોંઢી ગામે આમ્રવન સામે આવેલ આંબેડકર રમતના મેદાનમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સ્વતંત્ર ભારતના સંવિધાનના શિલ્પકાર, મહાન સમાજ સુધારક તથા શોષિત-પીડિત વર્ગના મસીહા ડૉ. આંબેડકરનાં જીવન અને કાર્યોને આ પ્રસંગે શ્રદ્ધા પૂર્વક યાદ કરવામાં આવ્યા હતા.

ડૉ. આંબેડકર માત્ર બંધારણવિદ કે કાયદા શાસ્ત્રી જ નહતા, પરંતુ તેઓ અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજનીતિ, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિ અને ધર્મના ઊંડા અભ્યાસી અને વિદ્વાન હતા. ગરીબી અને સંઘર્ષ વચ્ચે ઉછરેલા આ મહાન વ્યક્તિત્વએ જીવનભર સમાનતા, સ્વાભિમાન અને શિક્ષણના ધ્યેય માટે અવિરત લડત આપી હતી. ભારતને લોકશાહી સ્વરૂપે અર્પણ કરેલું બંધારણ આજે વિશ્વભરમાં “સિમ્બોલ ઓફ નોલેજ” તરીકે ઓળખાય છે.

આ શ્રદ્ધાંજલિ સભામાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમો, જિલ્લા અને તાલુકા પંચાયત, શિક્ષણ સંઘો, કોર્પોરેશન, વીમા, રેલવે, બેંક, પોસ્ટ, ટેલિકોમ વિભાગોના એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. વર્ગના કર્મચારીઓ, યુનિયનો, વેલ્ફર એસોસિયેશન, ટ્રસ્ટો, મંડળો, સામાજિક સંગઠનો, રાજકીય અને બિન રાજકીય આગેવાનો, ડોક્ટર, એન્જિનિયર, વકીલો તેમજ મિશનના સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા સાથે મહામાનવ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.